ગુજરાતટેકનોલોજીરાજનીતિ
મહીસાગર જિલ્લામાં આશા અને આંગણવાડી કાર્યકર બહેનો માટે વિશેષ ‘આયુષ્માન કાર્ડ ઝુંબેશ’ ** આશા વર્કર, આંગણવાડી કાર્યકર, હેલ્પર બહેનો અને તેમના પરિવારજનોને યોજનામાં આવરી લેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસ **
રાજ્યના નાગરિકોને ગંભીર બીમારીઓ સામે આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવા માટે સરકારશ્રી દ્વારા આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY - "પી.એમ.જેવાય") ચલાવવામાં આવી રહી છે. આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત લાભાર્થી પરિવારોને વાર્ષિક ₹૧૦,૦૦,૦૦૦ (દસ લાખ રૂપિયા) સુધીની વિનામૂલ્યે તબીબી સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં અહર્નિશ સેવારત એવી મહીસાગર જિલ્લાની આશા બહેનો, આંગણવાડી કાર્યકરો અને તેડાગર (હેલ્પર) બહેનોના સ્વાસ્થ્યની ચિંતા કરી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે હાલમાં આ વિશેષ 'આશા આયુષ્માન કાર્ડ ઝુંબેશ' પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત આશા વર્કર, આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી હેલ્પર બહેનો અને તેમના પરિવારના જે સભ્યોના આયુષ્માન કાર્ડ કાઢવાના હજુ પણ બાકી હોય, તેમને સત્વરે શોધીને આ યોજનાનો લાભ અપાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય અને મહિલા-બાળ વિકાસ વિભાગના પાયાના અને મહત્વના અંગ સમાન આ બહેનો રાત-દિવસ લોકોની સેવામાં કાર્યરત રહે છે. ત્યારે આ બહેનો અને તેમના પરિવારજનો કોઈપણ આકસ્મિક બીમારી સમયે મોટી સારવારના આર્થિક બોજથી સંપૂર્ણપણે મુક્ત રહે તે આ વિશેષ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જિલ્લાના તમામ પીએચસી (PHC) પર આ કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હજુ પણ જે આશા કે આંગણવાડી બહેનો અને તેમના પરિવારના સભ્યોના આયુષ્માન કાર્ડ કઢાવવાના બાકી હોય, તેઓને સત્વરે પોતાના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નો સંપર્ક કરી જરૂરી આધારો રજૂ કરીને પોતાનું અને પોતાના પરિવારજનોનું આયુષ્માન કાર્ડ કઢાવી લેવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




